Luke 20

1તે અરસામાં એક દિવસે એમ થયું કે ઈસુ મંદિરમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા. 2તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહો કે, કયા અધિકારથી તમે આ કામો કરો છો? આ અધિકાર તમને કોણે આપ્યો છે?’

3ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો: 4યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી?’

5તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે આકાશથી, તો તે કહેશે, તો તમે તેનું કેમ માન્યું નહિ? 6અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’

7તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’ 8ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’

9તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો. 10મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીનાં ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.

11પછી તેણે બીજા એક નોકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. 12તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.

13દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’ 14પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.

15તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? 16તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’

17પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર (કોણશિલા) થયો. 18તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડા થઇ જશે, પણ જેના પર તે પડશે તેનો તે છુંદો કરી નાખશે.’

19શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિષ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે. 20તેમના પર જાપતો રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.

21તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કોઈની શરમ રાખતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; 22તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’

23પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે, 24‘મને એક દીનાર (સિક્કો)દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’

25ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’ 26લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.

27સાદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે, 28‘ઉપદેશક, મોઝિસે અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની [જીવતી] છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઊપજાવે.

29હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરી ગયો; 30પછી બીજાએ તેને પત્ની કરી,અને તેના મૃત્યુ પછી 31ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મૃત્યુ પામ્યા. 32પછી તે સ્ત્રી પણ મરણ પામી. 33તો પુનરુત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેય ની પત્ની થઈ હતી.’

34ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતનાં છોકરાં પરણે છે તથા પરણાવાય છે; 35પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; 36કેમ કે તેઓ ફરીથી મૃત્યુ પામી શકતા નથી; કારણ કે તેઓ દૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

37વળી ‘ઝાડવાં’ [નામના પ્રકરણ]માં મોઝીસ પ્રભુને ઇબ્રાહીમના ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. 38હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’

39શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’ 40પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.

41ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત ડેવિડ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે? 42કેમ કે ડેવિડ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, 43હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. 44દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’

45સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 46‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમકે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ પસંદ કરે છે; જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને દંભથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’

47

Copyright information for GujULB